હિન્દ ન્યુઝ, દિલ્લી
દેશની રાજધાની દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનથી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. હાલમાં વડાપ્રધાન મોદી ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના ૭૦મા જન્મદિવસ નિમિત્તે બે દિવસની મુલાકાતે છે.
ભૂતાનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હું દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારોનું દુઃખ સમજું છું. આપણી એજન્સીઓ આ ષડયંત્રની ઊંડી તપાસ કરશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે. તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરાશે.” વડાપ્રધાને પીડિતોને દિલાસો આપ્યો હતો કે સરકાર આ મામલે સખત કાર્યવાહી કરશે.
