હિન્દ ન્યુઝ, મુંબઈ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્ર, ગોવા અને ઑડિશાના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુરક્ષા, સ્થિરતા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે મેરિટાઈમ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આજે ભારત મેરિટાઈમ ક્ષેત્રે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે 100થી વધુ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજિત #IndiaMaritimeWeek2025 ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને ‘ગેટવે ઓફ વર્લ્ડ’માં પરિવર્તિત કરનાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતની સામુદ્રિક વિરાસત અને વર્તમાન વૈશ્વિક વિકાસની ગાથા પ્રસ્તુત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચીપ અને શિપ બંને વિકસાવવાની જે ઇકોસિસ્ટમ ઊભી થઈ છે તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગવાન બનાવશે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત આજે મેરિટાઇમ એક્સલેન્સનું ગ્લોબલ લીડર બન્યું છે તેમજ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝન સાથે વિશ્વભરના દેશો માટે મેરિટાઇમ ગેટવે ઑફ ધ નેશન બની ગયું છે. તેમણે આ દ્વિવાર્ષિક મેગા ઇવેન્ટને ગ્લોબલ મેરિટાઈમ સેક્ટરમાં ભારતની વધતી લીડરશીપના પ્રભાવને વધુ મજબૂત કરનાર ગણાવી મેરિટાઈમ સેક્ટરના વિકાસ થકી ‘વિકસિત ભારત @ 2047’ સાકાર કરવામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
