હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના શેખપાટ ગામે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતામાં જ પ્રભુતા છે તેમ જણાવી ગાંધીજીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાનું બીડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝડપ્યું છે, જેના ફળસ્વરૂપે દેશમાં ૪૪ કરોડ જેટલા શૌચાલય બનાવ્યા છે અને ગુજરાત ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય બન્યું છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ઘન તથા પ્રવાહી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી અને જાહેર સ્થળોની સફાઈ રાખવી એ માત્ર સરકારની જ નહીં પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે. તેમણે ‘સેવા પખવાડિયા’ના રાજ્ય સરકારના પ્રજાલક્ષી વિવિધ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે સૌએ સ્વદેશી સંકલ્પ તથા સ્વચ્છતાના શપથ લીધા હતા, ત્યારબાદ મંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીશ્રીએ પોતે વૃક્ષારોપણ કર્યું હતું અને સાથે જ સૌ આગેવાનો સાથે મળીને સાફ સફાઈની કામગીરી પણ કરી હતી.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા આધારિત સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સ્વચ્છતા કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી એસ.એમ કાથડ, પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, આગેવાન સર્વ કુમારપાલ સિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન કણજારીયા, ગિરિરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
