હિન્દ ન્યુઝ, આણંદ
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સુચના આપી છે.
મહી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને સાવધ કરવા જરૂરી હતા તેવા ૨૬ ગામો ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને તેમને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.
નદીકાંઠાના ગામો ખાતે ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે તકલીફ પડતી હોય જે ધ્યાને લઈ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે જિલ્લા કલેકટરશ્રીની સુચના મુજબ આવા ગામોના પશુપાલકો તેમના પશુઓને નદી કિનારે ન લઈ જાય તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે અને ગ્રામજનોને સાવધ રહેવા માટે જણાવાયું છે.
આ ઉપરાંત નદી કાંઠાના ગામોને ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીનું સ્તર વધવાથી નીચાણવાળા ગામોમાં પાણી આવવાના કારણે ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું છે.
આજે નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારના ગામો ખાતે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ૨૬ જેટલા ગામોની રૂબરૂ મુલાકાત લઈને નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાઓ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય આ બાબતથી ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા છે.
