સોજીત્રા ખાતે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી : જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, આણંદ

     ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી સોજીત્રાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતુ. 

આ પ્રસંગે જિલ્લાવાસીઓને ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ જેવા મહાપુરૂષો અને નામી – અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. 

કલેકટરએ પાકિસ્તાન દ્વારા ભારતના સાર્વભૌમત્વને પડકારતા પહેલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે અંજામ આપેલા “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ‘‘ઓપરેશન સિંદૂર’’ મિશન એ માત્ર એક સૈનિક કાર્યવાહી નહોતી, પરંતુ ભારતની ઈચ્છાશક્તિ, રાષ્ટ્રીયતાનો ઉદ્દઘોષ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો સંકેત હતો. ઓપરેશન સિંદૂર બાદ સિવિલ ડિફેન્સ વોલન્ટીયર્સ માટે વહીવટી તંત્રની અપીલ પર આણંદના નાગરિકો મોટી સંખ્યામાં આગળ આવ્યા હતા, જે દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે. કલેકટરશ્રીએ આણંદ જિલ્લાવાસીઓને રાષ્ટ્રસેવાને પોતાનું કર્તવ્ય માનવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા.

તેમણે ડો. બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના ૭૫ વર્ષની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરી આ સંવિધાનને અધિકારોની સાથે કર્તવ્યોનો પાવન સંકલ્પ આપનાર દસ્તાવેજ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, આજના યુગમાં દેશભક્તિ એટલે નૈતિકતા, કર્તવ્ય અને જવાબદારી છે. 

કલેકટરએ કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આણંદ જિલ્લામાં પણ “હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” થીમ પર તિરંગા યાત્રાઓ અને જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા. આ તિરંગા યાત્રા એ માત્ર રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ નથી, પરંતુ દરેક નાગરિકોને સ્વચ્છતા માટેનો સંદેશ પણ આપે છે, કારણ કે તિરંગો એ માત્ર ધ્વજ નથી, તે દેશની આત્મા અને આપણી એકતાનું પ્રતિક છે. બંધારણમાં રાષ્ટ્રીય ધ્વજનું સન્માન અને જતન કરવાની ફરજ સ્પષ્ટપણે લખવામાં આવી છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂકતા, કલેકટરશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણને સૌથી મોટો સામૂહિક પડકાર ગણાવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની લડતને રાષ્ટ્રીય લડત તરીકે ઓળખાવતા તેમણે જણાવ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ પણ આપણા બંધારણમાં નિર્ધારિત મૂળભૂત કર્તવ્ય છે, અને વડાપ્રધાનશ્રીએ આ માટે “મિશન LiFE” (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ) આપ્યું છે. 

રાષ્ટ્રસેવા હવે માત્ર સીમા પર જ નહીં, પણ આપણા ઘરની અંદર પણ છે, જેમાં પર્યાવરણના જતનની જવાબદારીનો પણ સમાવેશ થાય છે, તેમ જણાવી તેમણે ઉપસ્થિત સૌને “હર ઘર તિરંગા”ના ઉમંગ અને “હર ઘર સ્વચ્છતા”ના સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી બનવા, સ્વચ્છતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવા અને મિશન લાઈફને જીવનશૈલી બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે યોગદાન આપવા અપીલ કરી હતી.

 જિલ્લા કલેકટરએ મેદસ્વીતાને એક મોટી આરોગ્ય સમસ્યા ગણાવી હતી. વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દર મહિને ખાવામાં ઓઇલનો વપરાશ ૧૦% ઘટાડી મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવાના અનુરોધનો ઉલ્લેખ કરી તેમણે રાજ્યમાં શરૂ કરાયેલ “મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન” ને સાચા અર્થમાં સાર્થક બનાવવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત યોગ-શારીરિક પ્રવૃત્તિ અપનાવવા સંકલ્પબધ્ધ બનવા હાકલ કરી હતી.

કલેકટરએ આણંદની સહકારી પ્રવૃત્તિને સ-ગૌરવ યાદ કરી, અમૂલ અને ત્રિભુવનદાસ પટેલના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા આણંદમાં ૧૨૫ એકર જમીન પર રૂપિયા ૫૦૦ કરોડના ખર્ચે ત્રિભુવનદાસ પટેલ સહકાર યુનિવર્સિટીની સ્થાપના થવા જઈ રહી છે, આ યુનિવર્સિટી નવી પેઢીને સંસ્થાગત વિકાસ, વ્યવસ્થાપન, નૈતિક મૂલ્યો અને લાંબાગાળાની સહકારી વ્યવસ્થા માટે તાલીમ આપશે, અને ભવિષ્યમાં ગ્રામ્ય વિકાસથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધીમાં ભૂમિકા નિભાવનારા ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓનું નિર્માણ કરશે. 

આ પ્રસંગે જિલ્લા કલેકટરએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું હતુ, ત્યારબાદ આણંદ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

સ્વાતંત્ર્ય પર્વના અવસરે જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

આ વેળાએ જિલ્લા કક્ષાની ઉજવણીના યજમાન થવા બદલ સોજીત્રા તાલુકાના વિવિધ વિકાસ કામો માટે જિલ્લા કલેક્ટરના વરદ્હસ્તે રૂ. ૨૫ લાખનો ચેક પેટલાદના મદદનીશ કલેકટર હિરેન બારોટને એનાયત કરાયો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ- રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તથા હાઈસ્કૂલના પટ્ટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વના અવસરે સાંસદ મિતેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ, નાયબ વન સંરક્ષક મીણા, નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈ, ખંભાત નાયબ પોલીસ અધિક્ષક, પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ સહિતના અધિકારીઓ તથા તાલુકાના અગ્રણી પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment