હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવશે. જેમાં દરરોજ ખરીફ પાકો વિષે માર્ગદર્શન અને કૃષિને ઉન્નત બનાવવા માટે સમગ્ર દેશમાંથી કૃષિ વૈજ્ઞાનિકોની લગભગ ૨૧૭૦ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં ઓછામાં ઓછા ૪ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ યુનિવર્સિટી, કોલેજો, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય કૃષિ વિભાગના કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, F.P.O. વગેરે સાથે મળીને તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન કરશે. ટીમો જે સ્થળે જશે ત્યાની કૃષિ આબોહવા, જમીનમાં પોષક તત્વોની હાજરી, પોષક તત્વોનો અભાવ, સિંચાઈના પાણીની સ્થિતિ, વરસાદ, આબોહવા, પશુપાલન, માટીની ગુણવત્તા, સોઇલ હેલ્થ કાર્ડના આધારે અનૂકૂળ પાકનું વાવેતર વિશે ખેડૂતોને માહિતગાર કરશે. કઈ પદ્ધતિથી વાવણી કરવી, બીજ અને ખાતર, જીવાતો અને રોગો સામે રક્ષણની રીતો વિષે જાણકારી આપશે.
