માર્ગ અકસ્માતનો ભોગ બનનારની મદદ કરનાર બનશે ‘રાહ-વીર’(ગુડ સમરિટન), મળશે રૂ.૨૫ હજાર સુધીનું ઇનામ

હિન્દ ન્યુઝ, જામનગર 

    રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં તાત્કાલિક મદદ મળી રહે અને ભોગ બનનાર વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત સરકારે ‘રાહ-વીર’ (ગુડ સમરિટન) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત, જે કોઈ વ્યક્તિ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બનનારને અકસ્માતના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરશે, તેને ‘રાહ-વીર’ તરીકે ઓળખવામાં આવશે અને તેને સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર તબીબી સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ઘણી વખત સમયસર મદદ ન મળવાના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.આ યોજના જાહેર જનતાને આવા પીડિતોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

કોને મળશે એવોર્ડ?

‘રાહ-વીર’ એવોર્ડ માટે તે વ્યક્તિ પાત્ર ગણાશે જેણે નીચેના સંજોગોમાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિની મદદ કરી હોય.

 * ગંભીર અકસ્માતનો ભોગ બનનારને મેજર સર્જરીની જરૂર હોય.

 * અકસ્માતગ્રસ્ત વ્યક્તિ ઓછામાં ઓછા ૩ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ હોય.

 * અકસ્માતમાં મગજ અથવા કરોડરજ્જુમાં ઈજા થઈ હોય.

 * સારવાર દરમિયાન અકસ્માતગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થયું હોય.

પુરસ્કાર અને સન્માન

આવી કપરી પરિસ્થિતિમાં મદદ કરનાર દરેક ‘રાહ-વીર’ને સરકાર દ્વારા અકસ્માત દીઠ રૂ. ૨૫,૦૦૦ સુધીનો રોકડ પુરસ્કાર અને ‘પ્રશંસા પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, જે ૧૦ ‘રાહ-વીરો’ ઉત્કૃષ્ટ કામગીરી કરશે, તેઓને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને રૂ. ૧,૦૦,૦૦૦ નો રોકડ પુરસ્કાર પણ મળવાપાત્ર રહેશે.

એવોર્ડ મેળવવાની સરળ પ્રક્રિયા

જો તમે કોઈ ગંભીર માર્ગ અકસ્માતના ભોગ બનનારને હોસ્પિટલ પહોંચાડો છો, તો તમારે નીચેની માહિતી હોસ્પિટલ સ્ટાફ અથવા નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આપવાની રહેશે:

 * તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર

 * તમારા બેંક ખાતાની વિગત

 * અકસ્માતની તારીખ અને સમય

 * તમે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે મદદ કરી તેની વિગત

પોલીસ દ્વારા આ માહિતીની પહોંચ તમને આપવામાં આવશે. ત્યારબાદ, એવોર્ડ માટેની ભલામણ જિલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિને મોકલવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીની આગેવાની હેઠળની આ સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ એવોર્ડની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને તમને પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા અને વધુ માહિતી માટે આપ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકો છો. ગુજરાત સરકારની આ પહેલ સમાજમાં માનવતા અને મદદ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપશે.

Related posts

Leave a Comment