હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીના અભિગમ સાથે રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવા સદનના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર ‘અ’ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી ₹2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરીને ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે ₹6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને ₹5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.
રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ મળતી ₹1 કરોડની સહાયમાં વધારો કરીને હવે ‘ક’ વર્ગની નગરપાલિકાઓને ₹4 કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને ₹3 કરોડ મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવા સદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગર સેવા સદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે.