જામનગર ખાતે સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

   ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે, જેના સભ્ય દક્ષેશ ઠાકર (પૂર્વ વાઇસ ચાન્સેલર) તથા સામાજિક કાર્યકર સુ ગીતાબેન શ્રોફે કલેકટર કચેરી, જામનગર ખાતે બેઠક યોજી યુનિવર્સલ સિવિલ કોડ અંગેનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું.

     બેઠકમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે પાસેથી લગ્ન, છુટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે અભિપ્રાયો માંગ્યા હતા.જે વિશે બેઠકમાં ઉપસ્થિત નગરજનોએ પોત-પોતાના મંતવ્યો અને વિચારો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા.

   આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરવામાં આવશે. તેમજ લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રીલેશનશિપ જેવા વિષયોને સમાવેશ કરવા બાબતે વિચારણા કરવામાં આવશે. ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા તેમજ છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, અને મિલકત અધિકારો બાબતે તમામ સમુદાયોમાં એક સમાન કાયદો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે.

    સાથે જ, આ મહત્વપૂર્ણ વિષય પર અસરકર્તા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં વેબપોર્ટલ (https://uccgujarat.in) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦ ખાતે પોતાના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલવા પણ અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, અધિક કલેકટર બી.એન.ખેર, પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી ગ્રામ્ય તથા શહેર તેમજ વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વિવિધ એસોસિએશનના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment