હિન્દ ન્યુઝ, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સુરત ખાતે આયોજિત ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ સમારોહમાં સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના કુલ 8 વ્યક્તિવિશેષને રાજ્યના મંત્રીઓ, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.1 લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે સન્માન પ્રાપ્ત કરેલ યોદ્ધાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, નકારાત્મકતા સામે હકારાત્મક બનીને સાંસ્કૃતિક મૂલ્યોના મૂળ પર હુમલો કરનારા લોકો સામે લડવું અને સાથોસાથ સમાજને પણ જાગૃત કરવો જરૂરી છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે કરેલ સંકલ્પને સાકાર કરવામાં સુસંસ્કૃત અને જાગૃત સમાજના નિર્માણ થકી સહભાગી બનવા સૌને આહવાન કર્યું હતું.
