હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય વિદ્યાલય-ONGC સુરત ખાતે દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ ONGCના શ્રીમતી તનુજા બલોદીએ જણાવ્યું કે, બાળકોએ તેમના ઘરના વડીલો સાથે પ્રેમથી સંવાદ, વાતો કરવી જોઈએ, તેમને સમય આપવો જોઈએ. દાદા-દાદી પાસેથી જીવન જીવવાનું ઉમદા ભાથું મળે છે. તેમની શીખને હંમેશા જીવનમાં ઉતારવી જોઈએ.
શાળાના આચાર્ય રાજેશ કુમારે મહેમાનોને લીલાછમ રોપા આપીને આવકારી જણાવ્યું કે, વડીલો આપણા ઘરનું ગૌરવ છે. તેમની છાયામાં રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. વડીલોની સલાહ, અનુભવમાંથી પ્રેરણા લઈને આપણે સમસ્યાઓને ઉકેલી શકીએ છીએ.
યોગનિષ્ણાંત દિનેશભાઈ પટેલે યોગની સૂક્ષ્મ ગતિવિધિઓનું મહત્વ જણાવ્યું હતું.
આ પ્રસંગે બાળકોએ સ્વાગત ગીત, નૃત્ય, શિવ તાંડવ નૃત્ય અને નાટકનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. બાળકોએ સુંદર પોસ્ટર અને ગ્રીટીંગ કાર્ડ પણ બનાવ્યા હતા. દાદા-દાદી માટે રસપ્રદ રમતો યોજાઈ હતી. જેમાં કેટ વોક, મ્યુઝિકલ ચેર વગેરે સામેલ હતા. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પ્રાથમિક શિક્ષક શ્રીમતી દક્ષા ગુપ્તાએ કરી હતી.
