કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધૂંવાવ ગામે રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં નર્મદાના નીરના વધામણાં કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર

     રાજ્યના કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવીકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના ધૂંવાવ ગામે સૌની યોજના હેઠળ નર્મદા નદીનું પાણી ડેમ સુધી આવતા રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણાં કર્યા હતા.

આ તકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,જે વિસ્તારોમાં બારમાસ નદીઓ નથી તેવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના જિલ્લાઓના ખેડૂતોને નર્મદા નદીનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોના ચહેરાઓ ઉપર હર્ષની લાગણી જોવા મળી છે. સૌની યોજના હેઠળ નદી નાળાઓમાં નર્મદાનું પાણી પહોચાડવામાં આવતા ખેડૂતો એક કરતા વધારે સીઝનનો પાક લેતા થયા છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમ મારફતે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પણ નળ સુધી પીવાનું શુદ્ધ પાણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી સરકાર દ્વારા પહોચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગામડાઓમાં સરકાર દ્વારા તમામ પ્રાથમીક સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો થકી લોકોને પાયાની સુવિધાઓ મળી રહી છે. અને માળખાકીય સુવિધાઓ વધતાં ગામડાઓ ગોકુળિયા બની રહ્યા છે. સુવિધા શહેરની અને આત્મા ગામડાનો સૂત્ર સાર્થક થયું છે. વિવિધ યોજનાઓના માધ્યમથી ગામડાઓનો વિકાસ થયો છે અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.

‘સૌની’ એટલે ‘‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના’’. વર્ષ 2014માં આ યોજનાના કામોનો પ્રારંભ થયો. ‘સૌની’ યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનું દૂરંદેશી આયોજન ઘડાયું હતું. યોજના મુજબ પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા ચાર પાઈપલાઈન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 155 જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા થઈ રહ્યુ છે. જેનો ફાયદો સૌરાષ્ટ્રના હજારો ખેડૂતોને થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, ધૂંવાવ ગામના સરપંચ કાનાભાઈ, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, આજુબાજુના ગામડાઓના સરપંચઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment