કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જોડિયા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

     Bભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, ઉજ્વલા યોજના, એન.એફ.એસ.સી. યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સહિતની યોજનાઓ વડે દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. લોકોનું જીવન સુખમય બને લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે આજે સરકાર નાગરિકોના આંગણે પહોંચી છે અને લાભાર્થીઓને વિવિધ યોજનાકિય લાભો પહોંચાડી રહી છે. નાગરિકો પણ જાગૃત બની સરકારને સહયોગ કરે તો સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય રજૂ કરતા જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓના લાભો લોકોના ઘર આંગણે પહોંચાડવા તથા સરકારની વિવિધ યોજનાઓની સરળ જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી આ યાત્રાનું સરકાર દ્વારા આયોજન હાથ ધરાયું છે. વિવિધ સરકારી યોજનાઓથી વાકેફ બની વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લેવા કલેક્ટર એ ઉપસ્થિત સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ તકે પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતીના લાભ, પૂર્ણાં યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, અન્નપૂર્ણા યોજનાના મંજૂરી પત્ર સહિત ૧૭ જેટલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે બહેનો દ્વારા ધરતી કહે પૂકાર કે અંતર્ગત લઘુ નાટક રજૂ કરાયું હતું.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હિરલબેન ભાલાળાએ સૌ મહાનુભવોને શાબ્દિક સ્વાગત વડે આવકાર્યા હતા. જ્યારે કાર્યક્રમની આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી રોનકકુમાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, જિલ્લા પંચાયત સદસ્ય ધરમશીભાઈ ચનિયારા, ડી.આર.ડી.એ. નિયામક એન.એફ.ચૌધરી, ડેપ્યુટી કલેકટર ગ્રીષ્મા રાઠવા, આગેવાન ભરતભાઈ દલસાણીયા, કુમારપાલસિંહ રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મંગાભાઈ ધ્રાંગીયા સહિત આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment