કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથના ખેડૂત મિત્રો જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૩.૧૨.૨૦૨૩ થી તા.૦૪-૧૨-૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા તમામ ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

ઉપરાંત જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.

એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણઅધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment