સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજ્યસભા-લોકસભા કમિટીના સભ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ

    સમગ્ર ૧૨ જ્યોતિર્લિંગમાં ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમું સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે ત્યારે પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના ચેરમેન બ્રિજલાલ સહિત રાજ્યસભા-લોકસભા કમિટીના સભ્યોએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. જે પછી નવા સર્કિટ હાઉસ ખાતે કમિટીએ સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી બાબતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

મંદિરની મુલાકાત લઇ શિલ્પની દ્રષ્ટિએ કલાત્મકતા તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ સોમનાથ મંદિરની ભવ્યતા નિહાળી કમિટીના તમામ સભ્યો મંત્રમુગ્ધ થયા હતાં. દર્શન બાદ સંકિર્તન હૉલ ખાતે શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કમિટીના તમામ સભ્યોના હસ્તે પૂજન, અર્ચન સાથે ‘સોમેશ્વર મહાપૂજા’ અને આરતી સંપન્ન કરાવવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કમિટીના તમામ સભ્યોને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી. 

સોમનાથ દર્શન બાદ કમિટિએ ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત નવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ પ્રેઝન્ટેશન દ્વારા સોમનાથ મંદિરની ભૌગોલિક સ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો તેમજ કંટ્રોલરૂમ તેમજ આપત્તિ સમયના ઉપયોગમાં લેવાતી વિવિધ જરૂરિયાતો વિશે પ્રાથમિક માહિતી આપી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ મંદિરની રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી, પેટ્રોલિંગ, આર્મ્ડ સિક્યોરિટી, વોચ ટાવર, હોટલ્સનું ચેકિંગ એમ સુરક્ષાને લગતી વિવિધ બાબતો જણાવી હતી. ઉપરાંત GSDMA સીઈઓ મનિષ ભારદ્વાજ દ્વારા તમામ રિકન્સ્ટ્રક્શન એક્ટિવિટી, દરિયાઈ આપત્તિની તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વિશે અવગત કરાયા હતાં. જે પછી અધ્યક્ષસ્થાનેથી સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી વિવિધ સુરક્ષા બાબતો વિશે સૂચનાઓ આપવામાં આવી હતી.

પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના સભ્યોની સોમનાથ મુલાકાત સમયે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment