વિશ્વ ચકલી દિવસે મહીસાગર વનવિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાનો અનોખો પ્રયાસ

હિન્દ ન્યુઝ, મહીસાગર

         20 મી માર્ચ એટલે ચકલી દિવસ,આપણા આંગણાનું પક્ષી ગણાતાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ચકલીઓના સંરક્ષણ તથા રહેઠાણને સુરક્ષિત રાખવા અને ઇકોલોજીકલ સિસ્ટમ સંતુલિત રાખવા ચકલીઓના લુપ્ત થવાની ઘટનાને રોકવી ખુબ જરુરી છે. આ ઉપલક્ષમાંઆજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર વનવિભાગ અને મહીસાગર એડવેન્ચર &નેચર ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.વનવિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના મિત્રો દ્વારા અવરજવર કરતા લોકોને ચકલીઘર આપી ચકલીના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરવામાં આવી, સાથે સાથે એક કુત્રિમ ઘર વડે ચકલી બચાવના કાર્યમાં આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ તે અંગે લોકોને માર્ગદર્શિત કરાયા.ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ,સંવર્ધન માટે ચકલીઘર મૂકવાની અતિ જરૂરિયાત છે. ચકલીને ઝાડ પર પોતાની જાતે માળો બનાવતા આવડતું નથી જેથી ચકલી માળો બનાવતી નથી અને તેમને અન્ય પક્ષીઓએ બનાવેલ માળા કે એવી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે આ કૃત્રિમ ચકલીઘર મૂકી ચકલીને બચાવી શકાય છે.

           નેચર ફાઉન્ડેશન પ્રમુખ મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા વન વિભાગ સાથે મળીછેલ્લા ૬ વર્ષથી દર વર્ષે બે હજારથી વધુ કૃત્રિમ માળાનું વિતરણ કરી રહી છે.ચકલીઓ આ માળામાં આવનજાવન કરતી થઈ છે તે જોઈ પંખી અને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળે છે.આ કૃત્રિમ ચકલીઘરના આજે સારા પરિણામો જોવા મળી રહ્યા છે. લોકો વન વિભાગ અને નેચર ક્લબનેઆ ફોટાઓ શેર પણ કરતા હોય છે અને લોકોનો આ પ્રેમ જોઈ અમને આ ક્ષેત્રે સતત વધારે સારું કાર્ય કરવાની પ્રેરણા મળતી રહે છે, તેના પરિણામ સ્વરુપે આજે છઠ્ઠા વર્ષે પણ ૪૦૦૦થી વધુ ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા છે. લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતતા અને પ્રેમ વધ્યો છે.એક અપીલ તરીકે આપણે બધા સહભાગી બનીને આ નાનકડા જીવનું રક્ષણ કરી તેનું અસ્તિત્વ બની રહે તેવા પ્રયત્ન કરીએ અને ચકલીને વારસા રૂપે બચાવી આવનારી પેઢીને સમર્પિત કરીએ.

અહેવાલ : સલમાન મોરાવાલા, સંતરામપુર

Related posts

Leave a Comment