ભાવનગરમાં વડીલો માટે કાર્યરત ‘માવતર સંસ્થા’ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ નો શુભારંભ કરાવતાં ગૃહરાજ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં વડીલો માટે કાર્યરત ‘માવતર સંસ્થા’ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ નો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે કરાવ્યો હતો. વર્ષ- ૨૦૨૨ના પ્રારંભના શુભારંભે જેની આંખોમાં ઝાંખપ આવી ગઈ છે, હાથમાં કૌવત ઘટ્યું છે, પરંતુ હૃદયમાં જોમ અને ઉમળકો ઉત્સાહ છે તેને ટકાવી રાખતા ૮૦ અને ૯૦ વર્ષના વૃદ્ધો માટે વિવિધ ૧૧ રમતોનું આયોજન યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તેની શરૂઆત કરાવતાં તેમણે કહ્યું કે, જે રીતે યુવાનો માટે વિવિધ પ્રકારના રમત-ગમત સંકુલો રાજ્યમાં છે તેવા રમત-ગમત સંકુલો આ વયોવૃદ્ધ નાગરિકો માટે પણ બનવા જોઈએ. તેમણે કહ્યું કે, વિભાવરીબેન દવે દ્વારા આયોજિત આ કાર્યક્રમનું નામ જ ‘માવતર’ છે અને ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય માવતરના આશીર્વાદ વગર સફળ થતું નથી. એવાં કાર્યક્રમમાં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને અહીં ગૃહરાજ્યમંત્રી તરીકે નહીં પરંતુ દીકરા તરીકે આવવાનો અવસર સાંપડ્યો છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા યુવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવા આયામો હાથ ધરવામાં આવનાર છે. તેનો ભાવનગરના યુવાનોને મહત્તમ લાભ મળવાનો છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં રાજ્યની દીકરીઓ પર થતાં અત્યાચાર અને દુષ્કર્મને અટકાવવા માટે કડક કાયદાની જરૂરિયાત હતી. વર્ષો સુધી દુષ્કર્મીઓને કડક કાયદાને અભાવે કડક સજા થતી નહોતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પોક્સોનો કડક કાયદો લાવવામાં આવ્યો છે અને છેલ્લા સો દિવસમાં ૭ થી વધુ કેસમાં ચાર્જશીટ કરીને દૂષ્કર્મીઓને સજા કરવામાં આવી છે. તેમાંથી બે લોકોને તો ફાંસીની સજા થઈ છે. તેમણે ભવિષ્યમાં આવા કેસ બને જ નહીં તે દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. મંત્રીએ રાજ્ય અને દેશ વિકાસમાં અડચણરૂપ પ્રવૃત્તિઓમાં ન જોડાઈને સૌનો સાથ- સૌના વિકાસના મંત્રને સાકાર કરતાં સૌ સાથે મળીને રાજ્યનો વિકાસ કરીએ તેમ વધુમાં ઉમેર્યું હતું. તેમણે વડીલોના આશીર્વાદથી ભવિષ્યમાં પણ વધુ સારા કાર્ય કરવાં માટેની પ્રેરણા અને આશીર્વાદ વયોવૃદ્ધ વડીલો તરફથી મળે તેવી વાંછના પણ કરી હતી. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુ વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, માવતર સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ આ પ્રકારની રમત- ગમતનું આયોજન કરવામાં આવે છે.આજે યોજાયેલી ઓલમ્પિકમાં ૧૧ થી વધુ રમતોમાં વડીલો પોતાનું કૌશલ્ય નિદર્શિત કરવાનાં છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, યુવાનો જ રમત-રમત રમી શકે પરંતુ ૮૦ થી ૯૦ વર્ષની વયના આ વડીલો આજે વિવિધ રમતો રમવાના છે.૧૫૦ વડીલો દોડ લગાવશે, તો ૯૦ વડીલો નિશાનબાજી કરશે. સામાન્યપણે એવો ખ્યાલ છે કે, વડીલોનું કામ પૂજા-દર્શન કરવાનું છે. પરંતુ માવતર સંસ્થા દ્વારા તેની સાથે તેમને રમત- ગમત રમાડવામાં આવે છે, ગરબા રમાડવામાં આવે છે અને તે રીતે તેમનો ઉત્સાહ બનાવી રાખવામાં આવે છે. વડીલોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સચિવાલય જોવાં લઈ જવાં સાથે પિક્ચર પણ બતાવવામાં આવે છે. આ વડીલોએ બ્લેક એન્ડ વાઈટ ‘મોગલે આઝમ’ ફિલ્મ જોઈ છે તો કલર ‘મોગલે આઝમ’ ફિલ્મ પણ જોઈ છે.

આ વૃદ્ધ ચહેરાને કરચલીઓ ભલે પડી ગઈ હોય પરંતુ તેમના ચહેરાનું હાસ્ય એ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. તેમનાં આશીર્વાદથી જ હું આ સ્થાને પહોંચી શકી છું તેનો ઋણ સ્વીકાર પણ તેમણે આ તકે કર્યો હતો. મશાલ પ્રસ્થાન કરાવીને ગૃહ મંત્રીએ ‘માવતર ઓલમ્પિક ૨૦૨૨’ નો શુભારંભ કરાવ્યો હતો.માવતરોએ સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, શૂટિંગ, રસ્સા ખેંચ, દોડ, ગોળા ફેક, લોટ ફૂંકણી સહિતની રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

ભાજપાના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરી વડીલો માટે આ પ્રકારના અનોખા આયોજનને બિરદાવી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તકે પૂર્વ મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી

Related posts

Leave a Comment