ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સીટી-2, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 13 અને 14 ડિસેમ્બર, 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ્રી, રજિસ્ટ્રાર ને IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનારનો શુભારંભ થશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઉચ્ચ, ટેકનિકલ શિક્ષણના નિયામક પણ કાર્યક્રમમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે. આ સેમિનાર અંગેની રૂપરેખા આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર જણાવે છે કે, ભારતીય શિક્ષણ પ્રણાલિ એ ૮૦૦ યુનિવર્સિટીઓ, ૩૯,૦૦૦ કોલેજ અને ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે. વળી, ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલિને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ સેમિનારમાં રાજ્યમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા થશે. સેમિનારમાં QS Ranking,NIRF Ranking ના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment