હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્કર્ષ ફાઉન્ડેશનના સહયોગથી જનજાગૃતિ સંદર્ભે ઉજવણી હાથ ધરાઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે લિંક વર્કર સ્કીમ અને ટી.આઇ માઇગ્રન્ટ અંતર્ગત એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાર લિંક વર્કર, બે સુપરવાઇઝર, તાલુકા હેલ્થ ઓફિસર અને એસ.ડી.એચ સુપ્રિટેન્ડેન્ટને એવોર્ડ આપવામાં આવ્યા હતા. એસ.ડી.એચ વિરમગામ ખાતેથી જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ રેલી વિરમગામથી સાણંદ જી.આઇ.ડી.સી સુધી પહોચી અને માર્ગમાં અનેક સ્થાનો પર જનજાગૃતિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, એચ.આઇ.વી. એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તે માનવમાં રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ કરતો વાયરસ છે. શરીરમાં એચઆઇવીનો ચેપ લાગતા અંદાજીત ૩ થી ૬ મહિનામાં સીડી૪ કોશીકાઓની સંખ્યા ઘટતા રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા શરીર ઘણા બધા તકવાદી રોગોનો ભોગ બને છે. આ પરીસ્થીતીને એઇડસ કહેવાય છે.