હિન્દ ન્યુઝ, જેસલ
જેસર તાલુકાના દેપલા ગામે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રમાં ગતિશીલતા આણવા માટે અને ગામના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જ ઉકેલાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે ગામડાઓમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે. ‘સરકાર આપના દ્વારે’ ના ન્યાયે ગ્રામના પ્રશ્નો ગામ લોકો દ્વારા જ આપમેળે વહીવટીતંત્રના સહકારથી ઉકેલાય અને તેનું સમાધાન ગામ લોકો દ્વારા જ મેળવી વિકાસ સાધી શકાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે તાલુકાઓના જુદા ગામોની મુલાકાત લેવામાં આવે છે. જેસર તાલુકાના દેપલા ગામે જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લઈ રાત્રી સભામાં લોકોના પ્રશ્નો જાણી જિલ્લા વહીવટીતંત્ર તેનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે તેમ કલેકટરએ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતમાં ત્રિસ્તરીય પંચાયત અસ્તિત્વમાં છે. તેનું પ્રથમ સોપાન ગ્રામસભા છે. ગ્રામ્ય સ્તરે જેટલી વ્યવસ્થાઓ સુદ્ઢ એટલું જ જિલ્લા અને રાજ્યનો વિકાસ શક્ય બને છે. આ ગ્રામસભામાં સરપંચ, ગામના નાગરિકો, તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી