હિન્દ ન્યૂઝ, નડિયાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ દાંડીયાત્રા ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા, ગામોમાંથી પસાર થશે, ત્યારે તા.૧૩મી માર્ચે ખેડા જિલ્લામાં પ્રવેશનારી આ દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના પદાધિકારીઓની એક બેઠક મળી હતી. આ એક ઐતિહાસિક દાંડી યાત્રામાં જોડાનારા યાત્રિકોની તમામ સગવડતાના સુચારું આયોજન માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
દાંડીયાત્રા આગામી તારીખ ૧૩મી માર્ચથી તારીખ ૧૫મી માર્ચ દરમિયાન ખેડા જિલ્લામાંથી પસાર થશે ત્યારે આગમનથી વિદાય સુધી યાત્રિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના પીવાના પાણીની વ્યવસ્થાથી લઈને રાત્રી રોકાણની તમામ સુવિધાની પૂર્વ તૈયારી કરવામાં આવી છે. દાંડીયાત્રિકો રાત્રી રોકાણ કરશે ત્યાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માસ્ક પહેરીને લોકો પધારે તેવી વહીવટીતંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે.
દાંડીયાત્રાના આગમનથી વિદાય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધા સગવડની તૈયારી કરી દેવામાં આવી છે. તેમ જિલ્લા કલેકટર આઈ.કે પટેલે જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લાના સંબંધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ