હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરી ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે.
દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ સૈનિક કલ્યાણ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણય જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત આપવાની સાથે તેમના રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવનાને વ્યક્ત કરે છે.
