હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને સૂચના અનુસાર બોટાદ જિલ્લામાં આગામી તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબીક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજળી તથા પાણીના બિલને લગતા કેસો (ચોરી સિવાય), ભાડાને લગતા કેસો, બેંક વસૂલાતના કેસો, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસૂલાત સહિતના દિવાની તકરારના કેસો તેમજ અન્ય સમાધાનપાત્ર કેસો રજૂ કરી શકાશે.
જે પક્ષકારો પોતાના પેન્ડિંગ કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા ઇચ્છતા હોય તેઓએ સંબંધિત કોર્ટ અથવા સંબંધિત તાલુકા કાનૂની સેવા સમિતિનો વહેલી તકે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવવામાં આવે છે કે, કાનુની સેવા સત્તા મંડળ અધિનીયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં જે કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સબંધકર્તા તમામ પક્ષકારોને પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે જેમા વધુમાં જે સબંધકર્તા પક્ષકારો પોતાના પેન્ડીંગ કેસો આ લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટ અથવા સબંધીત તાલુકા કાનુની સેવા સમિતીનો વહેલામાં વહેલી તકે સંપર્ક કરવા બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.
