હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ કચેરી પરિસરમાં કાર્યરત જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર, પુરવઠા શાખા તેમજ ઓળખ કાર્ડ સંબંધિત કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેઓએ નાગરિકોને અપાતા વિવિધ પ્રકારના દાખલાઓ, સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મળતી આર્થિક-સામાજિક સહાયોની વિગતો તેમજ સીટી તલાટીની રોજબોર્ડની કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.
કલેક્ટરએ કચેરીના અધિકારીઓ અને સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કચેરીએ આવતા અરજદારોને બિનજરૂરી સમય ન બગડે અને તમામ વહીવટી પ્રક્રિયાઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું. અરજીઓના ઝડપી નિકાલ અને જનસુખાકારીના કાર્યોને વધુ સુદ્રઢ બનાવવા માટે તેમણે સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને સ્થળ પર જ જરૂરી વહીવટી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા હતા.
