હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરવામાં આવેલી SIR અન્વયેની ‘આખરી મતદારયાદી’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને તેની નકલો સુપ્રત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી એ પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોના નામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા અત્યંત ઝીણવટપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી પારદર્શક કામગીરી અને ડેટાની સચોટતાની સરાહના કરી હતી. પક્ષના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુધારેલી યાદી આગામી ચૂંટણી પ્રક્રિયાને વધુ ન્યાયી અને સુગમ બનાવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દીપા કોટક, વિવિધ પક્ષોના હોદ્દેદારો તેમજ ચૂંટણી શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
