જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભવાળી અરજીઓ પરત્વે સંલગ્ન કચેરીએ સમયમર્યાદામાં કાર્યવાહી કરવા, સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા, ૧૫માં નાણાંપંચના તાલુકાના કામોની જોગવાઇ અંતર્ગત નાણાંની ફાળવણી અને કામગીરીની વિગતો/ આયોજનની જોગવાઈઓ અંગેની ચર્ચા કરી પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જન સુખાકારીના કામો કરવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

જનપ્રતિનિધિઓના સૂત્રાપાડા, માઢવાડ, જેટીના કામો અંગે, રાયડી ગામે પવનચક્કી અંગે, સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર પર આવેલ દિશાસૂચક દિવાદાંડી અંગે મનોમંથન કરી નિયત સમયમર્યાદામાં તમામ કામો પૂરાં થાય એ રીતે આયોજન કરવા જણાવાયું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment