બોર્ડના પરિણામો આવતા સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ની ભેટ

હિન્દ ન્યુઝ, તાપી

     ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ – સાયન્સ કોમર્સ, આર્ટ્સ) બાદ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે તેમને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યો છે.

કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયો અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી કરવો? ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અને રોજગારી મેળવવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવો? વગેરે જેવા અનેક સવાલો બાબતે વિદ્યાર્થી અને વાલીઓને આ અંક મારફતે દિશાદર્શન થઈ શકશે.

ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫માં ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો, વિનયન વિદ્યાશાખા, મેડિકલ-પેરામેડિકલ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ ક્ષેત્રની વિવિધ શાખાઓ, ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ઉભરતી કારકિર્દી, વિદેશમાં અભ્યાસ અને નોકરીની તકો, પ્લાસ્ટિક ટેકનોલોજીના ક્ષેત્રમાં નોકરીની તકો, ડિજિટલ મીડિયા ક્ષેત્રે કારકિર્દી, સોફ્ટેવેર, ક્વોન્ટમ કોમ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભારતીય સશસ્ત્રદળો, ફિલ્મ, કલા, અભિનય, કાયદા, જનસંપર્ક, કૃષિ, ડિઝાઇન કૌશલ્ય સહિતના ક્ષેત્રોમાં આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો સહિતનું માર્ગદર્શન આ કારકિર્દી વિશેષાંક-૨૦૨૫માં આપવામાં આવ્યું છે. 

દિવ્યાંગજનોના પુનવર્સન અને વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે પણ આ અંકમાં સમાવિષ્ટ છે. ગુજરાતના વિખ્યાત લેખક સર્વ શ્રી જય વસાવડા, શ્રી ભવેન કચ્છી, શ્રી બી.એન. દસ્તૂર, શ્રી રમેશ તન્ના, શ્રી પુલક ત્રિવેદી, શ્રી એસ.આર. વિજયવર્ગીય, શ્રી અંકિત દેસાઇ સહિતના લેખકશ્રીઓના પ્રેરણાદાયી લેખો પણ સમાવિષ્ટ છે, જે વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય નિર્માણ માટે રાહ ચીંધશે.

જિલ્લા માહિતી કચેરી, બ્લોક નં.0૪, જિલ્લા સેવા સદન, વ્યારા-તાપી ખાતેથી રુબરુમાં કચેરી સમય દરમિયાન (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી) કારકિર્દી વિશેષાંક-૨૦૨૫ પ્રાપ્ત થઈ શકશે.

Related posts

Leave a Comment