રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી

હિન્દ ન્યુઝ, જામનગર 

    દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાન ના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી ૫ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે ૫૦૦૦ હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment