જામનગરમાં આગામી તા.27 જૂનના ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, ,જામનગર

મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.

જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 27/06/2024 ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 14/06/2024 સુધીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે અત્રે જણાવેલા તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે. જે અંતર્ગત,

(1) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.

(2) અગાઉ રજૂ કરાયેલા પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવો.

(3) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ.

(4) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.

(5) નિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી કે વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ સરનામાં વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરિક તકરાર તેમજ સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહીં. આ તમામ બાબતોની અરજદારોને ખાસ નોંધ લેવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment