તા.૬ ડિસેમ્બરના રોજ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે યુનેસ્કો દ્વારા જાહેર કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

            ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉડીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમો, સમુહમાં ગવાતો ગરબો એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે જે પરસ્પર પ્રેરણા ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતિક છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને આબાલવૃદ્ધ સૌ કોઈ માટે આ ઉત્સવની વિશ્વસ્તરે નોંધ લેવાઈ રહી છે તેનો આનંદ અને સવિશેષ ગૌરવ પણ છે. 

નારી, મુક્તિના અજવાળા સમો ગરબો માથે લઈ, માની ભક્તિ સાથે પોતાના મનોભાવ પણ શબ્દોમાં વણી લઈ સમાજને જાગૃત કરવાનું અને આવનારી પેઢી માટે સાંસ્કૃતિક મૂલ્યો જાળવવાનું ઉમદા કાર્ય કરે છે. કોમલાંગી તરીકે ઓળખ પામેલી સ્ત્રી સમય આવે, શસ્ત્ર ધારણ કરવાને પણ સક્ષમ છે એ વાત આદ્યશક્તિની આરાધનામાં પ્રગટ થાય છે.

ગુજરાતના આ ગૌરવશાળી ગરબાને યુનેસ્કો દ્વારા ૧૫ માં અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Integible Cultural Heritage) તરીકે તા.૦૬/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાકે જાહેર કરવામાં આવનાર છે.આ સાંસ્કૃતિક કાર્યક્રમને લાઇવ નિહાળવા તા.૦૬/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાકે ધનવંતરી ઓડીટોરીયમ, જામનગર ખાતે જાહેર જનતાને જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment