ભુજ સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વનું યોજાયું ગ્રાઉન્‍ડ રીહર્સલ

હિન્દ ન્યુઝ, ભુજ

        ૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્‍લાકક્ષા ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્‍ડ રીહર્સલ યોજવામાં આવ્‍યું હતું. કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે.

        જિલ્‍લા સમાહર્તા દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્‍ટ, સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્‍માન સહિત બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્‍ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

          આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.

            દેશભક્તિ ગીત ” હે જન્મભૂમિ ભારત હે”, સમુહ નૃત્ય ”હર ઘર તિરંગા”, અભિનય ગીત ”વંદન તુજે મા ભારતી”, રાસ ”રાણો અચિન્ધો”, દેશભક્તિ ગીત ”ભારત અનોખા હમારા હે ” તથા  એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન, ઉપરાંત બેન્‍ડ સુરાવલી  સાથે ‘વંદે માતરમ’  પ્રસ્‍તુત કરાયું હતું.

            જિલ્‍લા સમાહર્તાએ ગ્રાઉન્‍ડ રીહર્સલ નિહાળ્યા બાદ તંત્રના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્‍થળ પર માર્ગદર્શન આપ્‍યું હતું.

        પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્‍લાટુન અને અધિકારીગણ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

Leave a Comment