હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં એક અજાણી માનસિક અસ્વસ્થ મહિલા સારવાર અર્થે આવી હતી. જેનું નામ–સરનામું જણાવી શકી નહોતી. જેથી આદિત્ય બિરલાના સ્ટાફ દ્વારા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસની ટીમે ત્વરિત મહિલા બાબતે તપાસ હાથ ધરીને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. જેથી પરિવારે ગદગદિત થઈ પોલીસની સરાહનીય કામગીરીનો આભાર માન્યો હતો.
માનસિક અસ્વસ્થ મહિલાની જાણ થતાં જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ઈશરાણીની સૂચનાથી રામભરોસા ચોકીનાપો.સબ.ઈન્સ. આર.એચ.સુવા તેમજ રામભરોસા ચોકીના પો.હેડ.કોન્સ કે.બી.વાદી તેમજ વુમન પો.કોન્સ કાજલબેન સોલંકી ત્વરીત આદિત્ય બિરલા હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં જરૂરી પ્રાથમિક સારવાર પછી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ ધરપત અપાવી કાઉન્સેલિંગ કર્યુ હતું.
પોલીસ તપાસમાં એ વાત જાણવા મળી હતી કે મહિલાના પિતરાઈ પંકજગીરી ભાવગીરી અપારનાથી ક્રિસ્ટલ સ્કૂલ ચોકડીની બાજુમાં રહે છે. પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર પર તેમને બોલાવતાં જ તેઓ બહેનને ઓળખી ગયાં હતાં પંકજગીરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી સોનલબહેને માનસિક સ્વસ્થતા ગુમાવી હતી અને ઘરેથી કહ્યાં વગર જ નીકળી ગયેલ હતાં. જે પછી પોલીસે મહિલાનો ભાઈ સાથે ભેટો કરાવી આપી માનવતાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ અને પ્રશંસનિય કામગીરી કરી હતી.