જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતાં પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં વીજળીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, નીચે ઝૂકેલાં વાયરોથી કોઇને વીજ શોક ન લાગે તે માટેની તકેદારીના પગલાં લેવાં અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને કલેક્ટરએ સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે તા. ૧૧ થી ૧૭ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા કાર્યક્રમ’ યોજાવાનો છે. તેમાં ભાવનગર જિલ્લો મોટાપાયા પર ભાગ લે તે માટે આઝાદીના અવસરે લોકો જાગૃત બને અને તિરંગા પ્રત્યે સન્માનની નજરે જોતાં થાય અને લોકોમાં દેશભક્તિ જાગૃત રહે તે માટેના પગલાં લેવાં માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અવસરે અમૃત સરોવરનું કામ પણ ઝડપથી પૂરું થાય તે માટેની તાકીદ કરીને આ અમૃત સરોવરના સ્થળો ખાતે વૃક્ષારોપણ થાય અને જે તે દાતાની તકતી લાગે જેથી તેઓનું કાર્ય અન્યને પણ પ્રેરણા આપે તે માટે કાર્યરત થવાં અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્ટરશ્રીએ આ બેઠકમાં વિવિધ વિભાગોને સ્પર્શતાં પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી પુરવઠા, જમીન સંપાદન અને મધ્યાહન ભોજનની મેરેથોન બેઠકો યોજી હતી.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

આ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ઝડપથી પતાવી સત્વરે કામ શરૂ થઇ જાય અને તે કામ ઝડપથી પૂરા થાય તે અંગેની તકેદારી રાખવાં પણ અધિકારીઓને માર્ગદર્શન આપી અધિકારીઓ- કર્મચારીઓ હકારાત્મકતાથી કાર્ય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કલેક્ટરએ ઉપસ્થિત મહાનુભાવોને જિલ્લામાં બનનાર અમૃત સરોવરો માટે લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવાં સહકાર આપવાં માટેની પણ અપીલ કરી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહીંયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment