મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે ત્રિલોકવન- મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્‍ઠ વનીકરણ

હિન્દ ન્યુઝ, નડિયાદ

    મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વિધાનસભાના મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. જેનો તેઓને આનંદ વ્‍યકત કરતાં જણાવ્‍યું કે, આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ ઘનિષ્‍ઠ વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે. વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્‍લામાં આ ગામની પસંદગી થઇ છે ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જોડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્‍લામાં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્‍લાના અન્‍ય ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય. આ વનીકરણને જાપાની પધ્ધતિથી કરવાનું હોવાથી ઝડપથી અને હવામાન તેમજ જમીનને યોગ્‍ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેથી વૃક્ષોનો ઉછેર ઝડપથી થશે. તેઓએ ઉમેર્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્યારે તેઓએ પ્રકૃતિના રક્ષણને મહત્‍વ આપ્‍યું હતું. તેઓએ પાણી અને ઓક્સિજનના બચાવ માટે વાત કરી હતી. પાણી કુદરતની દેન છે. તેનો બચાવ કરીએ અને વધુ વૃક્ષો વાવવાથી પુરતો અને શુધ્ધ ઓક્સિજન માનવજીંદગી માટે પુરો પાડિ શકાય. તેઓએ સાંસ્‍કૃતિક વનનો પણ આગ્રહ રાખ્યો હતો. જેને આપણા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે પણ આ વાતને મહત્‍વ આપી વૃક્ષારોપણની કામગીરીને અવિરત ચાલુ રાખી છે. તેઓએ ખેડૂતોને તેમના ખેતરના શેઢા ઉપર ફળાઉ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી. અને જે ખેડૂત મિત્રોને રોપા જોઇતા હોઇ તેઓને નડિયાદ ખાતે આવેલ ટીમ્બર એસોસીએશન દ્વારા મફત રોપા આપવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, છોડમાં રણછોડના દર્શન કરતા આપણા ખેડૂત મિત્રો માટે આ જાપાનીશ પધ્ધતિથી ઝડપથી વૃક્ષોનો ઉછેર કરવાની પધ્ધતિ નવી છે. તેનો મહત્તમ ઉપયોગ કરી આપણા ગામને આદર્શ વનરાજી પુરી પાડીએ. આમ કરવાથી પ્રકૃતિનું જતન થશે અને આપણને મનરેગાના માધ્યમથી રોજગારી મળશે. તેઓએ જણાવ્‍યું હતું કે, સરકારે ૨૪ જેટલા જિલ્‍લામાં પુનિત વન જેવા મોટા વનોનું નિર્માણ કરેલ છે. આપણે પણ ખેડા જિલ્‍લામાં વનરાજીમાં આદર્શ ગામની રચના કરવાની છે. આ સરકાર પણ ખેડુત મિત્રોને તમામ રીતે મદદરૂપ થઇ તેમની આવકમાં વધારો કરવા સતત પ્રયત્‍નશીલ રહિ છે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્‍યું હતું કે, ૧૯૭૦ પછીના દાયકામાં જાપાનીશ ગણિતશાસ્‍ત્રી અને સંશોધક એવા મિયાવાકીએ વાતાવરણને અનુકૂળ ઝાડ-પાનનો ઉછેર કરવાની પધ્ધતિ વિકસાવી. આ પધ્ધતિ દ્વારા વૃક્ષોનો ઉછેર ૧૦ ગણો ઝડપથી થાય છે. આ માટે તેઓને ૨૦૦૬માં પર્યાવરણવિંદનું બિરુદ પણ મળ્યું હતું. ભારત દેશમાં અનેક રાજયોમાં આ પધ્ધતિથી વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ છેલ્‍લા કેટલાક વર્ષોથી આ પધ્ધતિ દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થઇ રહયું છે. આપણે આ ગામમાં આ પધ્ધતિથી અંદાજે ૧૩૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર ત્રણ વર્ષ દરમ્યાન મનરેગા યોજના અન્‍વયે કરવાનો છે. જેમાં અંદાજે રૂા.૨૫.૬૩ લાખના ખર્ચે, પ્રથમ વર્ષે ૭૬૫૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવાનું આયોજન છે. જયારે બીજા વર્ષે ૫૫૦૦ અને ત્રીજા વર્ષે ૫૩૦૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવનાર છે. આમ, ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળતી થશે. જિલ્‍લા પંચાયત સદસ્‍ય હરમાનસિંહે આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.ટી.ઝાલા, અગ્રણી સર્વ અજબસિહ, અંકિતભાઇ, સરપંચ, મહેમદાવાદ અને ખેડાના તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ મામલતદાર દેસાઇ સહિત અગ્રણીઓ, ખેડુત ભાઇઓ-બહેનો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment