હિન્દ ન્યુઝ, પાંડેસરા
સુરત શહેરની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ જેવી દુર્ઘટના સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતોમાં ઘટાડો થાય એવા આશયથી પાંડેસરા જી.આઇ.ડી.સી.ના સેન્ટ્રલ પાર્ક સ્થિત સિધ્ધિ વિનાયક નોટ્સ & પ્રિન્ટસ કંપનીમાં ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઓફસાઇટ ઇમર્જન્સી મોકડ્રિલ યોજાઇ હતી. ૩૦ મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી. લોકલ કાઇસીસ ગૃપ સુરત સીટી, ઇન્ડસ્ટ્રીયલ પોકેટ અને નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને સુરત સીટી પ્રાંત (દક્ષિણ)ના માર્ગદર્શન હેઠળ ટેક્સટાઇલ કંપનીમાં ઓફસાઈટ ઈમરજન્સીની મોકડ્રીલ યોજાઈ હતી.
આજે પાંડેસરાની કંપનીમાં ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં સવારે ૧૧:૧૫ વાગે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા જ કંપનીના પોતાના ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા પ્રાથમિક આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા પણ આગ કાબુમાં ન આવતા ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. SMC ફાયર વિભાગના એક ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલરટેક્સ કંપનીના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. એક્સટર્નલ એજન્સી દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ કર્મચારીઓનું હેડ કાઉન્ટિંગ કરી સુરક્ષિત રીતે એસેમ્બલી પોઈન્ટ પર ખસેડવામાં આવ્યા હતા.
આગથી સાઈટ પર એક અસરગ્રસ્ત કર્મચારીને કંપનીના ઔદ્યોગિક હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ આગનું પ્રમાણ વધતા અને સ્થિતિ કાબુ બહાર જતા સાઈટ મેન કંટ્રોલર દ્વારા ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ અને લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. ઈમરજન્સી કોલ મળતા પાંડેસરાની વિવિધ કંપનીઓની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. તેવામાં વધુ એક કર્મચારીને આગની અસર થતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા ખાતે મોકડ્રીલ બાદ ડી-બ્રીકિંગ મિટિગમાં ડેપ્યુટી કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, દક્ષિણ પ્રાંત વી.જે. ભંડારીએ ઓછા ક્વિક રિસ્પોન્સ ટાઈમમાં બચાવ-રેસ્ક્યુ વર્ક શરૂ થવા પર ભાર મૂકી દરેક ઈન્ડસ્ટ્રીઝમાં મેનેજમેન્ટ તેમજ મોકડ્રીલમાં રહી ગયેલી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) અને ઇમરજન્સી સેફ્ટી માર્ગદર્શિકા જણાવતા કહ્યું કે, DEOCએ જિલ્લાનું મુખ્ય ઇમરજન્સી કેન્દ્ર છે જે દિવસ-રાત કાર્યરત રહે છે. કોઈપણ દુર્ઘટના સમયે સૌથી પહેલો સંપર્ક DEOCમાં કરવાથી રિસ્પોન્સ ટાઈમમાં ઘટે છે, તેઓ એકસાથે તમામ સંબંધિત એજન્સીઓને ત્વરિત જાણ કરવાની ક્ષમતા ધરાવે છે.
વધુમાં પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, દરેક કંપનીમાં એસેમ્બલી પોઈન્ટ અને ઇનઆઉટ ગેટ પર DEOCનો નંબર અને સેકન્ડરી ઇમરજન્સી નંબર ફરજિયાત ડિસ્પ્લે કરવા અનુરોધ કર્યો હતો. એસેમ્બલી પોઈન્ટ અને ફાયર એક્ઝિટ માટે પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ્સ હોવા જોઈએ. લોબીમાં અને ઉપરના માળે પણ ડાયરેક્શન બોર્ડ્સ હોવા જરૂરી છે. ઇમરજન્સી વખતે માણસ માનસિક રીતે વિચલિત હોય છે, ત્યારે આ બોર્ડ્સ તેને સાચી દિશામાં પહોંચવામાં મદદ કરે છે.
પાંડેસરા કંપની ખાતે ડી-બ્રીફિંગ મિટિગમાં ડે. કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, દક્ષિણ પ્રાંત વી.જે. ભંડારીના માર્ગદર્શનમાં આયોજિત મોકડ્રીલમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય-સુરતના મદદનીશ નિયામક જે.એન.વસાવા, ઉધના મામલતદાર એલ. આર. ચૌધરી, ઉધના સર્કલ ઓફિસર ડી.એચ.ગઢવી, સિવિલ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ડો. ભરત પટેલ, પોલીસ વિભાગના અધિકારીઓ, લોકલ ટ્રાફિક પોલીસ, ફાયર અને ઈમરજન્સી સેવાના સ્થાનિક તંત્રના અધિકારીઓ, જી.પી.સી.બી. સુરતના અધિકારીઓ, કંપનીના સેફ્ટી હેડ મહેશ ખબરાની, મનપાના ડે. ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબી, ચીફ એન્જિનિયર વી. કે. ગાંધી, સહિત લોકલ ક્રાઈસીસ ગ્રુપના અન્ય સભ્યો અને કંપનીના અધિકારી-કર્મચારીઓએ મોકડ્રીલને સફળ બનાવી હતી.

