હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (ભાષામંચ)-ગુજરાત પ્રાંત અને સરકારી વિનયન કૉલેજ-કવાંટના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬‘ વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે “ભારતીય જ્ઞાન પરમ્પરામાં ગુજરાતી ભાષાનો મહિમા” વિષય પર ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં. કૉલેજના ઈ.આચાર્ય અને કાર્યક્રમના સંયોજક ડૉ. અર્ચનાબેન ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં “માં, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી” સૂત્ર દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ડૉ. જલ્પાબેન જે. પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરામાં ભાષાનું મહત્વ અને ટેક્નોલોજીના પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને રોજની ડાયરી ગુજરાતીમાં લખવા અનુરોધ કર્યો હતો. અન્ય વક્તા પ્રો. મહેન્દ્ર કે. નાયીએ પોતાની આગવી શૈલીમાં માતૃભાષામાં આવેલા પરિવર્તનો, હાલરડાં અને જૂની દેશી રમતો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ માતૃભાષામાં પોતાના સ્વહસ્તાક્ષર કરી ‘માતૃભાષા અભિયાન’ને સફળ બનાવ્યું હતું.
આ તરીકે પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. વી. એસ. રાઠવા, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. હરેશભાઈ ચૌધરી, કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
