જામનગરના રામેશ્વર નગરમાં મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરના રામેશ્વર નગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે સજાગ કરી, આત્મવિશ્વાસ સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ જીએસટીના પેનલ વકીલ શ્રીમતી હર્ષિદાબેન જોશી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય સુરક્ષા અને ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ માટે ન્યાયને સરળ બનાવવામાં DLSAની ભૂમિકાને વિશેષરૂપે ઉજાગર કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજાબેન ડોડીયા તથા દહેજ પ્રતિબંધ અધિકારી શ્રીમતી સોનલબેન વર્ણાગર દ્વારા પ્રશ્નોત્તરી પદ્ધતિથી અત્યંત સરળ ભાષામાં મહિલાઓને માર્ગદર્શન આપી, ઘરેલું હિંસા સામે કાયદાકીય રીતે મજબૂત બનવા પ્રેરણા આપવામાં આવી હતી. આ તકે DMC શ્રીમતી બંસીબેન ખોડિયાર દ્વારા વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને GS શ્રીમતી હેતલબેન ચાવડા દ્વારા “વ્હાલી દીકરી યોજના” ના લાભાર્થીઓ સુધી પહોંચવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વધુમાં, સખી વન સ્ટોપના સંચાલક શ્રીમતી દક્ષાબા રાઠોડ દ્વારા સંકટમાં રહેલી મહિલાઓ માટે OSC કેવી રીતે એક વિશ્વસનીય આધાર બની શકે તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. મહિલાઓના હિત માટે સતત કાર્યરત રહેતી કચેરીની આ કામગીરી પ્રત્યે ઉપસ્થિત તમામ મહિલાઓએ સંતોષ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમના અંતે પ્રતીકરૂપે મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment