હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના ‘શિક્ષક દિન’ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના 40 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, શિક્ષક માત્ર વ્યવસાય નથી તે એક રાષ્ટ્રધર્મ છે અને વ્યક્તિના જીવન ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું કાર્ય શિક્ષક કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ગુજરાત સહિત સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં આવેલ ટ્રાન્સફોર્મેશનની રૂપરેખા આપી હતી. તેમણે વડાપ્રધાનએ નેશનલ એજ્યુકેશન પોલીસી દ્વારા હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટે શિક્ષણને સ્કીલ બેઝ્ડ અને ફ્યુચરિસ્ટિક બનાવવાનો આયામ આદર્યો હોવાનું જણાવી સૌ શિક્ષકોને પણ Ai અને ડિજિટલ ટેકનોલોજીથી સતત અપડેટ થતા રહેવાની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ શિક્ષણની પરંપરાગત વિરાસત તથા અદ્યતન ટેક્નોલોજીના સમન્વયથી વિકસિત ભારત માટે મૂલ્યનિષ્ઠ, જ્ઞાન અને કૌશલ્યથી સંપન્ન નવી પેઢીના નિર્માણમાં શિક્ષકો શક્તિધારા બનીને જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
