હિન્દ ન્યુઝ, સુરત
સ્થિત ઓરો યુનિ. ખાતે યોજાયેલી VGRCના બીજા દિવસે ગ્રીન એનર્જી રિચ ગ્રીડ:સિસ્ટમ પ્લાનિંગ અને ઇન્ટિગ્રેશન-વિષય પર પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રીન એનર્જી રિચ ગ્રીડ વિષયક સેમિનારમાં ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે બદલાતા સમય સાથે વધતી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને તેના વિવિધ સ્વરૂપો વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ ૨૦૭૦ સુધી અને ગુજરાતમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘નેટ-ઝીરો’ ઉત્સર્જન હાંસલ કરવાના ધ્યેય અને તેને પરિપૂર્ણ કરવાના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૪૭ સુધી ઉર્જા સ્વતંત્રતા અને ટકાઉ વિકાસના મિશન સાથે મોટા પાયે ઉર્જા પરિવર્તનના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સાથે જ પરિસંવાદમાં હાજર નિષ્ણાંતો દ્વારા વધતી જતી વીજ માંગ, આબોહવા પરિવર્તનની ચિંતાઓ અને ઉર્જા સુરક્ષા માટે પાવર સિસ્ટમ પ્લાનિંગમાં કરવામાં નવીન ફેરફારો, વધતી જતી પુનઃપ્રાપ્ય(સોલાર, વિન્ડ સહિતની) ઉર્જાના પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, પરંતુ દેશની ઉર્જા સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે અનિવાર્ય ‘ગ્રીન ટ્રાન્ઝિશન’ ટેક્નોલોજી અને યોગ્ય આયોજનના સમન્વય દ્વારા શક્ય હોવાનું નિષ્ણાતો દ્વારા ટકોર કરવામાં આવી હતી.
વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો વચ્ચેના સંવાદ અને જ્ઞાનના વિનિમય દ્વારા, આ સંમેલન ૨૦૪૭ સુધીમાં દેશને સ્વચ્છ, ભરોસાપાત્ર અને આધુનિક ઉર્જા પ્રણાલી પ્રદાન કરવામાં પાયાનું યોગદાન આપશે.
આ સેમિનારમાં CEAના વરિષ્ઠ સલાહકાર શ્રીએસ.કે.સોની, ગ્રીડ ઈન્ડિયા NLDCના ડાયરેક્ટર શ્રીરાજીવ પોરવાલ, IIT મુંબઈના પ્રોફેસર ડૉ. ઝાકિર હુસૈન, CTUILના ચીફ ઓપરેટિંગ ઓફિસર કૈલાશ ગુપ્તા, NSEFIના મુખ્ય સલાહકાર પી.સી.ગર્ગ હાજર રહ્યા હતા.
