હિન્દ ન્યુઝ, વલસાડ
માનસ “શિવસંકલ્પ” રામ કથાના સાતમા દિવસનું સફળ આયોજન
ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા દિવસમાં પ્રવેશ કરી સુખરૂપ રીતે સંપન્ન થઈ. બ્રહ્મલીન પૂ.વિજયગીરબાપુની તપસ્થલી એવી સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે પૂ.લાલગીરીબાપુની પાવન નિશ્રામાં આ કથા ગવાઈ રહી છે.

આજે સાતમા દિવસની કથાનો સંવાદ કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે પાલીતાણાની તીર્થભૂમિ એ પરચાની ભૂમિ નથી પરંતુ તે વાસ્તવમાં પરિચયની ભૂમિ છે. અહીંની સમર્થ ચેતનાઓ જેમાં પૂ.રણછોડગીરીબાપુ પૂ. બજરંગદાસ બાપા અને પૂ હરિરામ બાપુ ગોદડીયા જેવા મહાપુરુષોએ પોતાની સાથે આ ભૂમિનો પણ પરિચય આપ્યો છે. તેથી આ ભૂમિ પરિચય કરવા જેવી ભૂમિ છે.સંકલ્પ સિદ્ધ થાય તેના બદલે તે શુદ્ધ થાય તે જરૂરી છે. જાગૃત અને સુષુપ્ત દશામાં આપણા સંકલ્પો શુદ્ધ રહેવા જોઈએ. પરચા માણસને આંધળો કરે અને પરિચય એ દેખતા કરે છે. શબ્દ એ ઔષધી છે. શુદ્ધની ખૂબ આવશ્યકતા છે સંકલ્પ સિદ્ધિ માટે એકાંત સેવવું જોઈએ. તે નિર્વિકાર,નિર્વિષય હોવું જોઈએ. તેટલું જ જરૂરી મૌન પણ છે, તે આપણી સંપદા છે,તેને સાચવવી જોઈએ. શુદ્ધિ માટે સાત વસ્તુની જરૂર પડે. એકાંત, મૌન, પ્રાણબળ વધારવું, સદગુરુ ચરણ મન સ્વચ્છ રાખવું, દેહ શુદ્ધિ, ચિત એકાગ્રતા અને અહંકાર ન આવે. કથા ક્રમમાં આજે રામ જન્મની પૂર્વ ભૂમિકા, રામ જન્મના પાંચ કારણો, માતા કૌશલ્યા સહિતના દશરથજીના રાણીઓને ખિરનો પ્રસાદ અને પછી ભગવાન રામજીનું પ્રાગટ્ય એ કથાઓ ભાવવાહી રીતે રજૂ થઈ હતી.

આજની કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર હર્ષદભાઈ જોશી( નોઘંણવદર) શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી કુંઢેલી ઉદ્યોગપતિ વલ્લભભાઈ સવાણી, શિક્ષણકાર ભદ્રાયુભાઈ વચ્છરાજાની વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આવતીકાલે એટલે કે રવિવાર તા 26ના રોજ કથાની પૂર્ણાહુતી થશે.મંચ વ્યવસ્થાપનમાં નિલેશભાઈ વાવડીયા અને સંચાલન દિપકભાઈ રાજ્યગુરુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.કથા દરમિયાન અનેક સંતો મહંતો વગેરેની હાજરી દર્શન સાથે કથાનું આયોજન સફળ થઈ રહ્યું છે.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ
