હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી ગુજરાતની ગરિમાની આગવી પહેચાન છે. આપત્તિઓને અવસરમાં પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવતું ગુજરાત છેલ્લા દશકાથી દુનિયાને સામર્થ્ય અને પુરૂષાર્થની અનુભૂતિ કરાવીને પોતાનાં અનોખા મિજાજનો પરિચય કરાવતું રહ્યું છે. ભારતવર્ષનાં વિકાસને હૃદયમાં રાખીને ૨૧મી સદીને અનુરૂપ આધુનિકત્તમ વિકાસનાં સીમાચિન્હો પ્રસ્થાપિત કરવા થનગનતા ગુજરાતે પુરુષાર્થપૂર્ણ, પરિણામલક્ષી રાજનીતિ અને વંચિતો અને ગરીબોના હિતને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં દ્રષ્ટીવંત અને સાતત્યપૂર્ણ નેતૃત્ત્વ હેઠળ ગુજરાતે અદ્ભુત પ્રગતિ કરી છે. કૃષિક્ષેત્રનાં ચમત્કારનાં ચમકારા હોય કે શિક્ષણનાં પ્રકાશની વાત હોય, ઉદ્યોગનો ધમધમાટ હોય કે રોજગારીની વાત હોય, ગ્રામ વિકાસ હોય કે શહેરી વિકાસ ગુજરાતે છેલ્લા દાયકામાં આર્થિક સમૃદ્ધિની સાથે સાથે સુખ-શાંતિ, સુશાસન, કલા અને સંસ્કૃતિ, આરોગ્યપ્રદ જીવન અને વહીવટી શિસ્તના માધ્યમથી માનવ વિકાસ સુચકાંકને હાંસલ કરી સામાન્ય પ્રજાજન માટે ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત કરવાની દિશામાં મક્કમતાપૂર્વક ગુજરાત આગળ વધી રહ્યું છે.
સામાન્ય રીતે કોઇપણ દેશ કે પ્રદેશના વિકાસ ત્રણ મુખ્ય પરિબળો પર આધારિત હોય છે. દ્રઢ રાજકીય ઇચ્છાશકિત, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશકિતના સાક્ષાત્કારથી જ આ શકય બને છે. ગુજરાતે આ ત્રણેય આયામોને આત્મસાત કરીને વિકાસની નવી ઊંચાઇઓ આંબી છે. ગુજરાતનો વિકાસદર દસ ટકા ઉપરાંતનો રહ્યો છે. આ બાબત એક ગુજરાતી તરીકે સૌ કોઇ માટે ગૌરવપૂર્ણ છે. વિકાસ માટેનું એક જબરદસ્ત પ્લેટફોર્મ ઉભું થયું છે. કોઇપણ યોજના કે વિકાસનું શિખર સિદ્ધ કરવા ‘મિશન રિયલાઇઝેશન’ માટે સુવ્યવસ્થિત આયોજન, પરિણામલક્ષી રણનીતિ અને લાંબાગાળાના નક્કર પગલાં લેવાયા છે. આમા લોક સહયોગ તથા સહમતીની સાથે સાથે જનકેન્દ્રીત વિકાસલક્ષી અભિગમ અને યોજનાઓનું પદ્ધતિસરનું મોનિટરિંગનો સુભગ સમન્વય ભળતા અસરકારક પરિણામો જોવા મળી રહ્યા છે. આજે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસદર સમગ્ર દેશમાં ઉડીને આંખે વળગે એવો રહ્યો છે.
સરકાર અને જનતા વચ્ચેનું અંતર દુર કરવા માટે રચનાત્મક પગલાં ભરાયા છે. વિકાસલક્ષી યોગ્ય વાતાવરણ, નીતિ, કાયદા અને પાયાની સવલતોની સાથે ત્રણ ક્ષેત્રમાં ગુજરાતે લક્ષ કેન્દ્રીત કર્યુ છે અને સફળતા હાંસલ કરી છે. ઉદ્યોગ, કૃષિ અને સેવા. પંચશકિત આધારિત પંચામૃત વિચારધારા જેમાં જન શકિત, જળ શકિત, ઉર્જા શકિત, રક્ષા શકિત અને જ્ઞાન શકિતનો સમુચિત ઉપયોગ કરી છેલ્લા દશકમાં વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થયાં છે. પંચાયતી રાજ પછી માત્ર ગુજરાત જ એવું રાજય છે જેણે ‘એટીવીટી’નો નવતર વિચાર અમલમાં મુકી વહિવટી તંત્રનું વિકેન્દ્રીકરણ કરી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજયના એકેએક તાલુકામાં વિકાસની તંદુરસ્ત હરિફાઇ ઉભી થઇ છે. પ્રજા પોતે વિકાસની પ્રક્રિયામાં આયોજનથી માંડીને અમલીકરણ સુધીના તબક્કામાં સહભાગી બને તો સરકારના કાર્યક્રમોનો વ્યાપ, ગુણવત્તા અને ઝડપ ત્રણેય બાબતમાં સારા પરિણામો મળી શકે. જેના કારણે અત્યારે ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે. એનું પરિણામ એ આવ્યું કે, વિકાસની ગતિ બમણી થઇ ગઇ છે. દેશ-વિદેશની સંસ્થાઓ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કરવા આવી રહી છે. જનતાના વિકાસ માટે વિવિધ યોજનાઓના અમલીકરણના હેતુથી નાણાંની ફાળવણી મહત્ત્વની છે, પરંતુ એનાથી વધુ મહત્ત્વનું છે એ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે, એ નાણાં જરૂરતમંદ લાભાર્થીઓના હાથ સુધી પહોંચે અને એમનો વિકાસ થાય અને એ મુખ્યધારામાં જોડાય. યોજનાઓ સાચા અર્થમાં જનતા પાસે પહોંચે તે રીતે ગુજરાતે તેને પરિવર્તિત કરી છે. યોજનાઓનું સુયોગ્ય સંકલન કર્યુ છે. પરિણામે જનતાને તેનો લાભ મળ્યો છે. યોજના માટે ફાળવાયેલા નાણાં કોઇ સરકારના નથી. નાણાં તો જનતાના છે અને તે નાણાંમાંથી વિવિધ યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચે તેવા નક્કર આયોજનના પરિણામે જનતાના મુખ પર આનંદ દેખાય છે. આમ પણ કેન્દ્ર બધા રાજયોને યોજનાકીય સહાય તો આપે જ.
